૨૫ નવેમ્બર ૨૦૧૪ નાં લેખક જીતેશ દોંગા સાથે ઓળખાણ થઇ અને તે જ દિવસે વિશ્વાસ રાખીને હજુ કોપીરાઈટ નાં મળ્યા હોવા છતાય મને આ બૂક “વિશ્વ-માનવ” આપી.મેં વિચાર્યું કે બૂક ૨-૩ દિવસમાં પૂરી કરી નાખવી પણ આ બૂકમાં લખાયેલા એક વાક્ય મુજબ “જિંદગી આપણી પોતાની ચોઈસ મુજબ નથી ચાલતી” એ તો એની રીતે નદીના વહેણની માફક દરેક જગ્યાએથી પોતાનો રસ્તો કાઢતી ખળ-ખળ કરતી વહે છે. મારી વાંચવાની સફર અડધી બૂકથી અટકી ગયી. કાલે રાત્રે નક્કી કર્યું કે બાકીની અડધી બૂક ગમે તેમ કરીને પૂરી કરવી. આજે મારા બધા કામ પડતા મૂકીને સવારે બ્રશ કરીને સીધો જ વાંચવા બેસી ગયો. નાસ્તો પણ નથી કર્યો હજુ તો અને નાહ્યો પણ નથી. પણ જયારે બૂક પૂરી થઇ ગયી ત્યારે અચાનક મારા ખુદના આંસુઓથી નાહી લીધું, અને એમના પાત્રોએ મને પ્રેમ, લાગણી, આંસુ, દુખ, પરિવર્તનના ભાતે-ભાતના ભોજન કરાવીને મને અંતરના ઓડકાર લાવી દીધા છે. હવે જમવાની ઈચ્છા નથી.
આજે હું છેલ્લા ૨ કલાકથી ગુમસુમ બેસીને રડી રહ્યો છું. મગજ સુન્ન થઇ ગયું છે. રામ, મુસ્કાન, રૂમી, સ્વરાં આ લોકો સિવાય મને અત્યારે કઈ દેખાતું જ નથી. મારે આ લોકો સાથે કશાય લેવાદેવા નથી તેમ છતાય આ લોકો મને પોતાની તરફ ખેંચે છે અને પોતાના પ્રેમમાં અને દુખમાં શામેલ કરે છે, રડાવે છે, વિચારવા મજબુર કરે છે.
કોઈ ફનપાર્કમાં રોલર કોસ્ટરમાં બેસીને જે રોમાંચ થાય છે, જમીનથી ૧૫૦૦૦ ફૂટ ઉપર પ્લેનમાંથી જમ્પ મારીને સ્કાયડાઇવ કરવામાં જે રોમાંચ થાય છે એના કરતા વધારે રોમાંચ મને આ બૂક કરાવે છે. સ્કાયડાઇવ કરનાર એ માણસને ખબર હોય છે કે હું આવતી ૫-૧૦ મિનીટમાં જમીન પર પહોચી જઈશ પણ આ બુકનું સ્કાયડાઇવ અને કંઈક બીજા જ વિશ્વમાં લઇ જાય છે. મને આનો નશો કેટલા સમય સુધી રહેશે એ હું કહી શકું તેમ નથી. મેં વાંચેલી ૧૦-૧૨ નવલકથાઓમાંથી સૌથી બેસ્ટ ગણી શકું એવી આ વાર્તા છે.
રામ, મુસ્કાન, રૂમી, અને સ્વરાંનાં પાત્રો જાણે આજુબાજુના વિશ્વને ભુલાવી દે છે. એ લોકો દિલ ફાડીને પ્રેમ કરે છે. અને પોતાના પ્રેમથી ભગવાનની એ નસીબની રેખાઓને હરાવે છે. એ ગોધરા વિસ્તારમાં અને મુંબઈની ગલીઓમાં પાંગરતો પ્રેમ પણ મને જાણે યશ ચોપરાની ફિલ્મોના લોકેશન સ્વીત્ઝર્લેન્ડ અને લંડનની સેર કરાવતા હોય એવું લાગે છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મોના પાત્રોમાં જે વેદનાઓ છલકે છે એ વેદનાઓ મને આ બૂકથી અનુભવવા મળી. પ્રેમની જે ભાષા હું સમજતો હતો તેના કરતા કંઈક વધારે આજે સમજુ છું પ્રેમને. સલીમ-સુલેમાનનું સુફી સંગીત વાગતું હોય એવો અનુભવ મને સ્વરાંની નજાકતમાં અનુભવાય છે.
એક અલગ વિશ્વ જે હકીકતે આ વિશ્વનું કડવું સત્ય છે એ આ પુસ્તકથી જાણવા મળ્યું છે. મેં આ ૧૨ દિવસમાં જયારે પણ બૂક વાંચી છે ત્યારે ત્યારે આ પુસ્તકના પાત્રોએ મારી ઊંઘ બગાડી છે, હું સુઈ નથી શક્યો અને માંડ ઊંઘ આવે છે તો ઊંઘમાં પણ બોલવાનું શરુ હતું કે “મુસ્કાન તું ક્યાં છે, મુસ્કાન તું ક્યા છે” મને ૪ વખત રડાવ્યો છે આ પુસ્તકે. મારી છાતીમાં અત્યારે કોઈએ ૨ મણનો વજન મુક્યો હોય એવું લાગી રહ્યું છે.
(આ કોઈ સારું લગાવવા માટે નથી લખ્યું કે પબ્લીસીટી માટે નથી લખ્યું, આ પુસ્તક વિષે લખવા બદલ મને કોઈ કમીશન નથી મળવાનું, આ મારા હૃદયમાં ઉછળતી વેદના અને લાગણીઓ છે જે હું તમારી સામે રાખી રહ્યો છું)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો